કાશ્મીરમાં જૂના શિવમંદિરનો સેના-લોકો દ્વારા કરાયો કાયાકલ્પ
શ્રીનગર: ગુલમર્ગમાં ભારતીય સેનાની બટાલિયને સ્થાનિક લોકોની મદદથી એક જૂના શિવમંદિરનો કાયાકલ્પ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આ શિવમંદિરને 1974માં પ્રસિદ્ધ હિંદી ફિલ્મ આપ કી કસમમાં દર્શાવવામાં આવ્યું હતું. અહીં જય જય શિવશંકર ગીતનું ફિલ્માંકન પણ કરાયું હતું. આ શિવમંદિરનું નિર્માણ 1915માં જમ્મુ-કાશ્મીરના તત્કાલિન મહારાજા હરિસિંહના પત્ની મહારાણી મોહિનીબાઈ સિસોદિયાએ કરાવ્યું હતું.
શિવમંદિરના વ્યાપક નવીનીકરણની જરૂરિયાત હતી, કારણ કે લાંબા સમયથી અહીં કોઈ સમારકામ થયું ન હતું. સુંદર શહેર ગુલમર્ગના સ્થાનિક લોકો અને પર્યટકોએ આ શિવમંદિરની મૂળસ્થિતિને બહાલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભારતીય સેનાએ હંમેશા સ્થાનિક લોકોની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખ્યા છે અને તેને કાશ્મીરના વિવિધતાસભર વારસામાં યોગદાનના સ્વરૂપે લીધું છે.
નવીનીકરણ બાદ શિવમંદિરને આમ જનતા માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. તે પ્રસંગે શિવમંદિરના કાર્યવાહક ગુલામ મોહમ્મદ શેખે કહ્યુ છે કે શિવમંદિર કાશ્મીરની વિવિધતાસભર સંસ્કૃતિ અને તેના ગૌરવશાળી વારસાનું પ્રમાણ છે. તેમણે ગુલમર્ગના લોકોને કોઈપણ પ્રકારના ધાર્મિક પૂર્વગ્રહ વગર કાશ્મીરિયતના વાસ્તવિકતા સભર સાર સાથે સામુદાયિક સેવા ચાલુ રાખવાનું આહ્વાન પણ કર્યું છે.
WION પ્રમાણે, બ્રિગેડિયર બી. એસ. ફોગટે કહ્યુ છે કે એ સૌને ખબર છે કે કાશ્મીર પૃથ્વી પર એક સ્વર્ગ છે. પરંતુ કાશ્મીરની અસલી સુંદરતા તેના લોકો છે. ગુલમર્ગ એક પર્યટન સ્થાન છે અને ભારતીય સેના તથા નાગરિક પ્રશાસનને ધ્યાનમાં રાખીને આનું નવીનીકરણ કરવામાં આવ્યું છે અને સ્થાનિક લોકોએ ઘણી મદદ કરી તથા અમે પહેલ કરી, પરંતુ આ સૌના પ્રયાસથી પૂર્ણ થયું છે. આના માટે કાશ્મીરના પર્યટન વિભાગે પણ મદદ કરી હતી.
Comments
Post a Comment