નાગા સાધુઓનો રહસ્યલોક-2: કમાન્ડોથી પણ વધુ ખતરનાક છે નાગા સાધુ બનવાની પ્રક્રિયા!

 


નાગા સાધુ બનવું બેહદ કઠિન

માત્ર કુંભ વખતે જ જોવા મળે છે નાગા સાધુ

નાગા સાધુની કેવી રીતે થતી હોય છે દીક્ષા?

નાગા સાધુઓને ક્યા નિયમોનું કરવું પડે છે પાલન?


સનાતન હિંદુ ધર્મમાં ઘણાં પ્રકારના સાધુઓ હોય છે. પરંતુ તેમા સૌથી વધુ કૂતુહલનો વિષય નાગા સાધુઓ જ હોય છે. નાગા સાધુ બનવું બેહદ કઠિન છે. નાગા સાધુનું પ્રશિક્ષણ સેનાના કમાન્ડોની ટ્રેનિંગથી પણ કેટલાક માપદંડોમાં વધારે કઠિન હોય છે. નાગા સાધુઓને દીક્ષા લેતા પહેલા ખુદનું પિંડદાન અને શ્રાદ્ધ તર્પણ કરી દેવું પડે છે. જૂના સમયમાં અખાડામાં નાગા સાધુઓને મંદિર-મઠોની સુરક્ષા માટે એક યોદ્ધાની જેમ તૈયાર કરવામાં આવતા હતા.

નાગા સાધુ બનવાની ઈચ્છા રાખનારે પહેલા અખાડામાં બ્રહ્મચર્ની પરીક્ષામાંથી પસાર થવું પડે છે. શિષ્યના સંપૂર્ણપણે તૈયાર થયાની ખાતરી બાદ જ ગુરુ તેને શિક્ષણ આપવાનું શરૂ કરે છે. પુરુષની જેમ મહિલાઓ પણ નાગા સાધુ બની શકે છે. ઘણી વિદેશી મહિલાઓ નાગા સાધુ બની ચુકી છે. નાગા સાધુ બનતા પહેલા તમામ વાળને સંપૂર્ણપણે કાપવા પડે છે. બાદમાં ગંગામાં 108 ડુબકી લગાવી સ્નાન કરવું પડે છે અને બાદમાં તેને પાંચ ગુરુ દીક્ષા આપે છે. તેના પછી તેણે ખુદનું શ્રાદ્ધ-તર્પણ કરવા પડે છે. પિંડદાન બાદ તે અખાડાનો સાધુ બની જાય છે. તેના પછી તેને ગુરુમંત્ર આપવામાં આવે છે. નાગા સાધુ બન્યા બાદ તમામ પ્રકારના વસ્ત્રોનો ત્યાગ કરવો પડે છે. બેહદ આકરા નિયમોના પાલન સાથે નાગા સાધુ ખાસ કરીને પોતાના તિલગ પર ધ્યાન આપે છે. તમામ નાગા સાધુ દરરોજ એક જેવું જ તિલક લગાવે છે. મોટાભાગના નાગા સાધુ માત્ર કુંભમેળામાં જ જોવા મળે છે. જેવો કુંભમેળો સમાપ્ત થાય છે, તમામ નાગા સાધુ ચાલ્યા જાય છે. આ નાગા સાધુઓ જંગલના માર્ગે જ સફર કરે છે. નાગા સાધુ બનવાની પ્રક્રિયા તબક્કાવાર રીતે નીચે રજૂ કરવામાં આવી છે.

નાગા સાધુ બનવાની પ્રક્રિયા-

નાગા સાધુ બનવું કંઈ આસાન નથી. નાગા સાધુ બનવા માટે બેહદ કઠિન પરીક્ષાઓમાંથી પસાર થવું પડે છે. કદાચ કોઈ સામાન્ય માણસ તેને પાર પણ કરી શખે નહીં. નાગાઓને સેનાના કમાન્ડોની જેમ તૈયાર કરવામાં આવે છે. તેમને સામાન્ય દુનિયાથી અલગ અને વિશેષ બનાવવાના હોય છે. આ પ્રક્રિયામાં વર્ષો લાગી શકે છે. નાગા સાધુ બનવાની પ્રક્રિયાના પગથિયા પણ બેહદ કપરા હોય છે.

1.       તહકીકાત/ ચકાસણી-

જ્યારે કોઈપણ વ્યક્તિ સાધુ બનવા માટે કોઈ અખાડામાં જાય છે, તો તેને ક્યારેય સીધો અખાડામાં સામેલ કરી લેવામાં આવતો નથી. અખાડો પોતાના સ્તર પર તેની તપાસ કરે છે કે તે સાધુ કેમ બનવા ચાહે છે? તે વ્યક્તિ તથા તેના પરિવારની સંપૂર્ણ પૃષ્ઠભૂમિ પણ ચકાસવામાં આવે છે. જો અખાડાને લાગે છે કે તે સાધુ બનવા માટે યોગ્ય વ્યક્તિ છે, તો જ તેને અખાડામાં પ્રવેશ મળી શકે છે. અખાડામાં પ્રવેશ બાદ તેના બ્રહ્મચર્યની પરીક્ષા લેવામાં આવે છે. તેમા 6 માસથી લઈને 12 વર્ષ સુધીનો પણ સમય લાગી શકે છે. જો અખાડા અને તે વ્યક્તિના ગુરુ એ નિશ્ચિત કરી લે કે તે દીક્ષા લેવાને લાયક થઈ ચુક્યો છે. તો પછી તેને આગામી પ્રક્રિયામાં લઈ જવામાં આવે છે.

2.       મહાપુરુષ-

જો વ્યક્તિ બ્રહ્મચર્યના પાલન કરવાની પરીક્ષામાં સફળતાપૂર્વક પસાર થઈ જાય છે, તો તેને બ્રહ્મચારીમાંથી મહાપુરુષ બનવવામાં આવે છે. તેના પાંચ ગુરુ બનાવવામાં આવે છે. આ પાંચ ગુરુ પંચદેવ કે પંચપરમેશ્વર એટલે કે શિવ, વિષ્ણુ, શક્તિ, સૂર્ય અને ગણેશ હોય છે. તેમને ભસ્મ, ભગવા, રુદ્રાક્ષ વગેરે વસ્તુઓ આપવામાં આવે છે. આ નાગાઓના પ્રતીક અને આભૂષણ છે.

3.       અવધૂત-

મહાપુરુષ બાદ નાગાઓને અવધૂત બનાવવામાં આવે છે. તેમા સૌથી પહેલા તેમના વાળ કાપવાના હોય છે. તેના માટે અખાડા પરિષદની રસીદ પણ કાપવામાં આવે છે. અવધૂત રૂપમાં દીક્ષા લેનારે ખુદનું તર્પણ અને પિંડદાન કરવાનું હોય છે. આ પિંડદાન અખાડાના પુરોહિત કરાવો છે. આ સંસાર અને પરિવાર માટે તે મૃત થઈ જાય છે. તેમનો એક જ ઉદેશ્ય હોય છે, સનાતન અને વૈદિક ધર્મની રક્ષા કરવી.

4.       લિંગ ભંગ વિધિ-

આ પ્રક્રિયા માટે નાગા સાધુએ 24 કલાક નગ્ન થઈને અખાડાના ધ્વજની નીચે કંઈપણ ખાધાપીધા વગર ઉભા રહેવું પડે છે. તે વખતે તેના ખભા પર એક દંડ અને હાથમાં માટીના વાસણ હોય છે. તે વખતે અખાડાના પહેરેદાર તેના પર નજર રાખી રહ્યા હોય છે. તેના પછી અખાડાના સાધુઓ દ્વારા તેમના લિંગને વૈદિક મંત્રો સાથે ઝાટકા આપીને નિષ્ક્રિય કરવામાં આવે છે. આ કાર્ય પણ અખાડાના ધ્વજ નીચે કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ તે નાગા સાધુ બની જાય છે. આમ કુંભ મેળામાં આખરી પ્રતિજ્ઞા લીધા બાદ તેઓ લંગોટ પણ ત્યાગી દે છે અને જીવનભર દિગમ્બર અવસ્થામાં રહે છે.

નાગા સાધુઓ માટેના નિયમો-

1.       બ્રહ્મચર્યનું પાલન:

કોઈપણ વ્યક્તિ જ્યારે નાગા સાધુ બનવા માટે આવે છે, તો તેણે સૌથી પહેલા તેની પોતાના પર નિયંત્રણની સ્થિતિને પારખવામાં આવે છે. તેની પાસે લાંબા સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરાવવામાં આવે છે. આ પ્રક્રિયામાં માત્ર દૈહિક બ્રહ્મચર્ય જ નહીં, પણ માનસિક નિયંત્રણ પણ પારખવામાં આવે છે. એકદમ અચાનક કોઈને દિક્ષા આપવામાં આવતી નથી. પહેલા એ નક્કી કરવામાં આવે છે કે વ્યક્તિ સંપૂર્ણપણે વાસના અને ઈચ્છાઓથી મુક્ત થઈ ચુક્યો છે કે નહીં.

2.       સેવા કાર્ય

બ્રહ્મચર્ય વ્રતની સાથે દીક્ષા લેનારના મનમાં સેવાભાવ હોવો જરૂરી છે. માનવામાં આવે છે કે જે પણ સાધુ બની રહ્યો છે, તે ધર્મ, રાષ્ટ્ર અને માનવ સમાજની સેવા તથા સુરક્ષા માટે બની રહ્યો છે. તેવામાં દીક્ષા લેનારા સાધુએ પોતાના ગુરુ અને વરિષ્ઠ સાધુઓની સેવા પણ કરવી પડે છે. દીક્ષા સમયે બ્રહ્મચારીઓની વય મોટાભાગે 17થી 18 વર્ષથી ઓછી હોતા નથી.

3.       ખુદનું પિંડદાન અને શ્રાદ્ધ-

દીક્ષા પહેલા સૌથી મહત્વપૂર્ણ કામ છે, તે ખુદનું શ્રાદ્ધ અને પિંડદાન કરવાનું છે. આ પ્રક્રિયામાં સાધક ખુદ પોતાના પરિવાર અને સમાજ માટે મૃત માનીને પોતાના હાથે પોતાનું શ્રાદ્ધ કર્મ કરે છે. તેન પછી તેને ગુરુ દ્વારા નવું નામ અને નવી ઓળખ આપવામાં આવે છે.

4.       વસ્ત્રોનો ત્યાગ-

નાગા સાધુઓને વસ્ત્ર ધારણ કરવાની પણ મંજૂરી હોતી નથી. જો વસ્ત્ર ધારણ કરવા જ હોય, તો તે માત્ર ભગવા રંગના વસ્ત્રો જ પહેરી શકે છે. તે પણ માત્ર એક જ વસ્ત્ર, તેનાથી વધારે ભગવા વસ્ત્ર નાગા સાધુ ધારણ કરી શકતા નથી. નાગા સાધુઓના શરીર પર માત્ર ભસ્મ લગાવવાની અનુમતિ હોય છે. ભસ્મનો જ શ્રૃંગાર કરવામાં આવે છે.

5.       ભસ્મ અને રુદ્રાક્ષ-

નાગા સાધુઓને વિભૂતિ અને રુદ્રાક્ષ ધારણ કરવા પડે છે. શિખાસૂત્ર એટલે કે ચોટીનો પરિત્યાગ કરવો પડે છે. નાગા સાધુ પોતાના તમામ વાળને ત્યાગે છે. તે માથા પર શિખા પણ રાખી શકતા નથી અથવા તેમણે સંપૂર્ણ જટાને ધારણ કરવાની હોય છે.

6.       એક જ વાર ભોજન-

નાગા  સાધુઓ રાત્રિ અને દિવસમાં માત્ર એક જ વખત ભોજન કરી શકે છે. તે ભોજન પણ ભિક્ષા માગીને કરવાનું હોય છે. એક નાગા સાધુ વધુમાં વધુ સાત ઘરોમાંથી ભિક્ષા લઈ શકે છે. જો સાત ઘરોમાંથી કોઈ ભિક્ષા મળે નહીં, તો તેણે ભૂખ્યા રહેવું પડે છે. જો ભોજન મળે, તો પસંદ-નાપસંદને અવગણીને પ્રેમપૂર્વક ગ્રહણ કરવાનું હોય છે.

7.       માત્ર પૃથ્વી પર જ સુવાનું-

નાગા સાધુ સુવા માટે પલંગ, ખાટલો કે અન્ય કોઈપણ સાધનનો ઉપયોગ કરી શકતા નથી. નાગા સાધુઓને ગાદી પર પણ સુવાની મનાઈ હોય છે. નાગા સાધુ માત્ર જમીન પર જ સુવે છે. આ ઘણો કઠોર નિયમ છે, તેનું પાલન દરેક નાગા સાધુએ કરવું પડે છે.

8.       મંત્રમાં આસ્થા-

દીક્ષા બાદ ગુરુ પાસેથી મળેલા ગુરુમંત્રમાં જ તેમણે સંપૂર્ણ આસ્થા રાખવાની હોય છે. તેમની ભવિષ્યની તમામ તપસ્યા આ ગુરુ મંત્ર પર આધારીત હોય છે.

9.       અન્ય નિયમ-

લોકોની વસ્તીની બહાર નિવાસ કરવો, કોઈને પ્રણામ નહીં કરવા અને કોઈની નિંદા નહીં કરવી તથા માત્ર સંન્યાસીને જ પ્રણામ કરવા જેવા અન્ય કેટલાક નિયમોનું પાલન દીક્ષા ગ્રહણ કરનારા દરેક નાગા સાધુએ કરવું પડે છે.

નાગા સાધુઓના પદ અને અધિકાર-

નાગા સાધુઓના ઘણાં પદ હોય છે. એક વખત નાગા સાધુ બન્યા બાદ તેમના પદ અને અધિકારમાં વધારો થતો રહે છે. નાગા સાધુ બાદ મહંત, શ્રીમહંત, જમાતિયા મહંત, થાનપતિ મહંત, પીર મહંત, દિગંબરશ્રી, મહામંડલેશ્વર અને આચાર્ય મહામંડલેશ્વર જેવા પદો સુધી જઈ શકાય છે.

ચાર નાગા ઉપાધિઓ-

કુંભ આયોજીત થાય છે, તે ચાર સ્થાનો પર જ નાગા સાધુ બનાવવામાં આવે છે. તેમા પ્રયાગરાજ ખાતે દીક્ષા લેનાર નાગા સાધુને નાગા, ઉજ્જૈનમાં દીક્ષા લેનારને ખૂની નાગા, હરિદ્વારમાં દીક્ષા લેનારને બર્ફાની નાગા અને નાસિકમાં દીક્ષા લેનારને ખિચડિયા નાગા કહેવામાં આવે છે.

નાગા સાધુઓના ચાર આધ્યાત્મિક પદ-

નાગા સાધુઓના ચાર આધ્યાત્મિક પદ છે. જેમા પહેલું કુટીચક, બીજું બહુદક, ત્રીજું હંસ અને સૌથી શ્રેષ્ઠ એવું ચોથું પરમહંસનું પદ છે. નાગાઓમાં શસ્ત્રધારી નાગા અખાડાઓ સ્વરૂપે સંગઠિત છે. તેમના સિવાય નાગાઓમાં અઘોરી, અવધૂત, મહંત,કાપાલિક, શમશાની વગરે પણ હોય છે.

સંતોના કુલ 13 અખાડામાંથી સાત અખાડામાં જ નાગા સાધુ બનાવવામાં આવે છે. નાગા સાધુઓને દીક્ષા આપનારા સાત અખાડામાં- જૂના, મહાનિર્વણી, નિરંજની, અટલ, અગ્નિ, આનંદ અને આવાહન અખાડા સામેલ છે.

નાગા સાધુઓ પાસે ત્રિશૂલ, ડમરુ, રુદ્રાક્ષ, તલવાર, શંખ, કુંડલ, કમંડળ, કડા, ચિપિયો, કમરબંધ કે કોપીન, ચિલમ, ધુણો અને ભભૂત જેવી વસ્તુઓ હોય છે. નાગા સાધુઓનો અભિવાદન મંત્ર ઓમ નમો નારાયણ છે. નાગા સાધુઓ શિવ ભક્ત હોય છે અને શિવ સિવાય કોઈ પણ માનતા નથી.

નાગા સાધુઓ ગુરુ સેવા, આશ્રમનું કાર્ય, પ્રાર્થના, તપસ્યા અને યોગ ક્રિયા કરે છે. નાગા સાધુ અખાડાના આશ્રમ અને મંદિરોમાં રહે છે. કેટલાક તપ માટે હિમાલય, ગિરનાર કે અન્ય ઊંચા પહાડોની ગુફાઓમાં જીવન વિતાવે છે. અખાડાના આદેશ પ્રમાણે તેઓ પગપાળા જ પરિભ્રમણ કરે છે. તે દરમિયાન કોઈ ગામમાં ઝૂંપડી બનાવીને ધૂણી ધખાવે છે. નાગા સાધુ કુંભમાં સ્નાન દરમિયાન જ સંસારને જોવા માટે આવે છે. કુંભમેળા બાદ નાગા સાધુ ફરી પાછા પોતાની સાધનામાં લીન થઈ જાય છે.

-----0-----------

Comments