નાગા સાધુઓનો રહસ્યલોક-1: સનાતન હિંદુ ધર્મના અજય ધર્મયોદ્ધાની ઉત્પતિનો ઈતિહાસ

નાગા સાધુઓ સનાતન ધર્મના રક્ષક

આદિગુરુ શંકારાચાર્યે નાગા સાધુઓને કર્યા એકજૂટ

ત્રેતાયુગમાં નાગા સંન્યાસી પરંપરા ભગવાન દત્તાત્રેયે શરૂ કરી હતી

જૈન દિગમ્બર સાધુ અને હિંદુ નાગા સંન્યાસી પરંપરા અતિ પ્રાચીન

સિંધુ સભ્યતાના અવશેષોમાં પણ છે નાગા સંન્યાસીઓને લગતા પુરાવા


અર્ધકુંભ, મહાકુંભમાં જોવા મળતા નાગા સાધુઓને જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય. નાગા સાધુઓથી કેટલાક લોકો પૂજ્યભાવ રાખે છે, તો કેટલાક લોકો ડરે છે, તો કેટલાક લોકો તેમની મજાક પણ ઉડાવે છે. નાગા શબ્દનો અર્થ નગ્ન અથવા કપડાં વગરનો તેવો હાલની બોલચાલની ભાષામાં કરવામાં આવે છે. પરંતુ નાગા શબ્દની ઉત્પતિ મામલે કેટલાક વિદ્વાનોનું માનવું છે કે આ શબ્દ સંસ્કૃતના નાગા શબ્દ પરથી આવ્યો છે. સંસ્કૃતમાં નાગા શબ્દનો અર્થ પહાડ થાય છે અને તેના પર રહેતા લોકો પહાડી અથવા નાગા કહેવામાં આવે છે. કચ્છારી ભાષામાં નાગા એટલે એક યુવાન બહાદૂર લડાકૂ વ્યક્તિ. ટોલ્મી પ્રમાણે, નાગાનો અર્થ નગ્ન રહેનાત વ્યક્તિઓથી છે. ડૉક્ટર વેરિયર ઈલ્વિન પ્રમાણે, નાગા શબ્દની ઉત્પતિ નૉક અથવા લોગ પરથી થઈ છે. માટે ઉત્તર-પૂર્વમાં રહેનારા આ લોકોને નાગા કહે છે. નગ્ન રહેવા સાથે નાગા શબ્દનો સંબંધ માની શકાય નહીં, કારણ કે જનજાતિઓ સંપૂર્ણપણે નગ્ન રહેતી નથી.

આમ તો સનાતની પરંપરામાં નાગા સાધુઓના અખાડાની શરૂઆત આદિગુરુ ભગવાન શંકરાચાર્યે કરી હોવાનું માનવામાં આવે છે. પરંતુ કેટલાક વિદ્વાનો માને છે કે આદિ શંકરાચાર્ય પહેલા પણ નાગા સાધુઓ હતા. એક માન્યતા એવી પણ છે કે ત્રેતાયુગમાં ભગવાન ગુરુ દત્તાત્રેયે નાગા સાધુની શરૂઆત કરાવી હતી.

શંકરાચાર્ય પહેલા નાગા સંન્યાસીઓને જૂથને બેડા અર્થાત સાધુઓના જત્થા તરીકે ઓળખવામાં આવતા હતા. અખાડા શબ્દનું ચલણ મુસ્લિમ અને મુઘલ શાસકોના સમયમાં શરૂ થયું હતું. કેટલાક ઈતિહાસકારો માને છે કે ભારતમાં નાગા સંપ્રદાયની પરંપરા પ્રાગૌતિહાસિક કાળથી છે. સિંઘુ ઘાટીની સભ્યતાના મોહેનજોદડોના ખોદકામમાંથી મળેલી મુદ્રા અને તેની નજીક પશુઓ દ્વારા પૂજીતિ અને દિગમ્બરાવસ્થામાં વિરાજમાન પશુપતિની પ્રતિમા આના પ્રમાણ માનવામાં આવે છે. વૈદિક સાહિત્યમાં પણ આવા જટાધારી દિગમ્બર તપસ્વીઓના વર્ણનો મળો છે. ભગવાન શિવ આ તપસ્વીઓના આરાધ્ય છે.

મેસેડોનિયાનો રાજા એલેક્ઝાન્ડર ઉર્ફે સિંકદર ભારત આવ્યો, ત્યારે તેણે અને તેની સાથે આવેલા ગ્રીક સૈનિકોએ અનેક દિંગબર સાધુઓના દર્શન કર્યા હતા. ભારતના પ્રાચીન જૈન ધર્મમાં પણ દિગમ્બર સાધુઓ હોય છે અને હિંદુઓમાં પણ નાગા સંન્યાસી છે. આ દેશમાં પહાડોમાં રહેતી વીરતા માટે વિખ્યાત નાગા જાતિ પણ છે અને નાગાલેન્ડ જેવું પહાડી રાજ્ય પણ છે.

જો કે ત્રેતાયુગમાં ભગવાન દત્તાત્રેય દ્વારા શરૂ કરવામાં આવેલી નાગા સાધુ પરંપરાનો આગામી પડાવ આદિ શંકરાચાર્યે નિર્ધારીત કર્યો હતો. આ તમામ નાગા સાધુઓને જોડવાનું અને તેમને આકરા યમ-નિયમનું પાલન કરવાની શીખ આદિ શંકરાચાર્યે આપી હતી. તેમણે સનાતન હિંદુ ધર્મની સુરક્ષા માટે નાગા સંન્યાસીઓને આકરું શારીરિક પ્રશિક્ષણ લેવા માટે પણ પ્રેરીત કર્યા અને તેથી નાગા સાધુ સંન્યાસી યોદ્ધા પણ કહેવાય છે. આજે પણ તમામ નાગા સાધુના હાથમાં ભગવાન શિવનું શસ્ત્ર ત્રિશુળ જોવા મળે છે.

ધર્મને સમજવા અને સમજાવવા માટે શાસ્ત્ર જરૂરી છે. તેવી જ રીતે જે લોકો ધર્મને સમજવા તૈયાર નથી અને તેને મિટાવવા માટે પ્રયત્નો કરવા આક્રમણો કરે છે, તેનાથી સુરક્ષા માટે શસ્ત્ર પણ જરૂરી છે. આદિ શંકરાચાર્યે આ વાત બરાબર પારખી હતી.

ભારતમાં બૌદ્ધ ધર્મના ફેલાવાને કારણે સનાતન ધર્મનો પ્રભાવ ઘટયો હતો. સનાતન ધર્મના હાલના સ્વરૂપનો પુનરોદ્ધાર કરવાનો પાયો આદિગુરુ શંકરાચાર્યે નાખ્યો હતો. આદિ શંકરાચાર્યનો જન્મ સાતમી કે આઠમી શતાબ્દીમાં થયો હતો. ત્યારે હિંદુસ્થાનનું જનમાનસ દશા અને દિશાને દ્રષ્ટિએ ઘણી દ્રષ્ટિએ સારું ન હતું. હિંદુસ્થાનની દિવ્ય આભા વિદેશી આક્રમણખોરોના નિશાને હતી. ઈશ્વર, ધર્મ, ધર્મશાસ્ત્રોના તર્કો, શસ્ત્ર અને શાસ્ત્ર તમામ પ્રકારના પડકારો હિંદુસ્થાનની સનાતન સંસ્કૃતિની સામે હતા. આદિ શંકરાચાર્યે સનાતન ધર્મના પુનરોદ્ધાર માટે દેશમાં ચાર દિશામાં ચાર પીઠની સ્થાપના કરી હતી. જેમાં ગોવર્ધન પીઠ, શારદા પીઠ, દ્વારિકા પીઠ અને જ્યોતિર્મઠ પીઠનો સમાવેશ થાય છે.

આદિગુરુ શંકરાચાર્ય દિવ્ય દૂરદ્રષ્ટિ ધરાવતા હતા અને તેમને લાગ્યું હતું કે સામાજિક ઉથલપાથલના આ સમયગાળામાં માત્ર આધ્યાત્મિક શક્તિથી મોટા પડકારોનો સામનો કરવો પુરતું નહીં ગણાય. આદિગુરુએ મઠો-મંદિરોની મિલ્કતો લૂંટનારા અને શ્રદ્ધાળુઓને સતાવનારાઓનો મુકાબલો કરવા માટે સનાતન ધર્મના વિભિન્ન સંપ્રદાયોની સશસ્ત્ર શાખાઓના સ્વરૂપમાં અખાડાની સ્થાપનાનું સૂચન કર્યું અને તેની શરૂઆત પણ કરાવી હતી.

આદિગુરુ શંકરાચાર્ય જ પ્રેરણાસ્ત્રોત હતા કે યુવા સાધુ વ્યાયામ કરે અને પોતાના શરીરને સુદ્રઢ બનાવે. યુવા સાધુ શસ્ત્ર ચલાવવામાં પારંગતતા પ્રાપ્ત કરે. આવા ઉદેશ્ય સાથે જે મઠોમાં આવા પ્રકારનો વ્યાયામ અને શસ્ત્ર સંચાલનો અભ્યાસ કરાતો હતો, તેને સમય જતા અખાડા તરીકે ઓળખવાનું શરૂ કરાયું હતું. સામાન્ય બોલચાલની ભાષામાં પહેલવાન કસરતના દાવપેંચ શીખવાડે છે, તે સ્થાનો અખાડા તરીકે ઓળખવામાં આવે છે. કાળાંતરમાં આવા ઘણાં અખાડા અસ્તિત્વમાં આવ્યા હતા.

કહેવામાં આવે છે કે જ્યારે આખું ભારત બૌદ્ધ તાંત્રિકોના પ્રભાવથી ત્રસ્ત હતું, ત્યારે આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા શાસ્ત્રોના જ્ઞાનથી ઘણાં રાજાઓને હિંદુ ધર્મમાં સમાહિત કરવામાં આયા હતા. કેટલાક લોકોએ તેનો વિરોધ કરવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે શંકરાચાર્યે કેટલાક યુવા સાધુઓને શસ્ત્રોનું શિક્ષણ આપ્યું હતું અને આગળ જતા તે નાગા સાધુ તરીકે ઓળખાવા લાગ્યા હતા. આ નાગા સાધુઓ રાષ્ટ્ર અને ધર્મ માટે લડવા માટે હંમેશા તત્પર રહ્યા છે અને આ બંનેની સુરક્ષા માટે પોતાના પ્રાણોની આહૂતિ આપતા પણ અચકાયા નથી.

આવા અખાડાઓને કડક નિર્દેશ હતા કે મઠ, મંદિર અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે જરૂરત પડવા પર શક્તિનો ઉપયોગ કરે. આમ બાહ્ય આક્રમણોના સમયગાળામાં આવા અખાડાઓએ એક સુરક્ષા કવચનું કામ કર્યું હતું. ઘણીવાર સ્થાનિક રાજા-મહારાજા વિદેશી આક્રમણોની સ્થિતિમાં નાગા યોદ્ધા સાધુઓનો સહયોગ પણ લેતા હતા.

નાગા સંન્યાસીઓએ ભારતના અનેક પ્રાચીન મંદિરો અને ધર્મસ્થાનોની વિદેશી આક્રાંતાઓથી સુરક્ષા કરી છે. હિંદુ મહિલાઓ સાથે અભદ્રતાનો પણ નાગા સંન્યાસીઓએ પ્રાણોની આહૂતિ આપીને મુકાબલો કર્યો છે. નાગા સાધુ સનાતની હિંદુ ધર્મના અજેય યોદ્ધા છે અને તેમનાથી મોટામોટા આક્રમણખોરો પણ ડરતા હતા. 

Comments